હિંદુ સંગઠનોની કેન્દ્ર સરકાર પાસે માગણી
મુંબઈ, તા.17 : યુનેસ્કોએ વૈશ્વિક વારસા તરીકે માન્યતા આપેલી મુંબઈ પાસેના ઘારાપુરી દ્વીપ પરની ધારાપુરી ગુફાઓ (એલેફન્ટા કેવ્ઝ) આ ભગવાન શિવજીનું પ્રાચીન સ્થાન છે. હિંદુઓનો સાંસ્કૃતિક વારસો અને ધાર્મિક સ્થળ રહેલા ઘારાપુરી ખાતે હિંદુઓને પૂજાનો અધિકાર મળે, તે માટે હિંદુ સંગઠનોએ જનઆંદોલન કરીને કેન્દ્ર સરકાર પાસે માગણી કરી. સ્વતંત્રતાવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક, હિંદુ જનજાગૃતિ સમિતિ અને સુદર્શન વાહિનીની આગેવાની હેઠળ ઘારાપુરી ખાતેની શિવાપિંડીની પ્રતિકાત્મક પૂજા-અર્ચના કરવામાં આવી. આ સમયે સ્વાતંત્ર્ય વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના કાર્યાધ્યક્ષ રણજિત સાવરકર, હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ શિંદે અને સુદર્શન વાહિનીના મુખ્ય સંપાદક સુરેશ ચવ્હાણએ આ જનઆંદોલનનું નેતૃત્વ કર્યું. આ પૂજાવિધિ માટે ઘારાપુરી ગ્રામપંચાયતના ઉપસરપંચ બળીરામ ઠાકુર સાથે જ વિવિધ હિંદુત્વનિષ્ઠ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા.
પુરાતત્વ વિભાગના નિયંત્રણમાં રહેલાં મંદિરોમાં પૂજા થતી નથી; પણ પુરાતત્વ વિભાગના નિયંત્રણમાં રહેલી મસ્જિદોમાં નમાજ પઠણ થાય છે. પુરાતત્વ વિભાગના નિયંત્રણમાં હિંદુઓના ધાર્મિક સ્થળોમાં પણ ચંપલ પહેરીને જવામાં આવે છે. ઘારાપુરી ખાતેના ધાર્મિક સ્થળની પણ આવી જ સ્થિતિ છે. પુરાતત્વ વિભાગના નિયંત્રણ હેઠળ હિંદુઓના જેટલાં ધાર્મિક સ્થાનો છે, તે ઠેકાણે પૂજા-અર્ચના ચાલુ કરવા માટે અનુમતિ મળે. તેમ જ ત્યાં ચંપલ પહેરીને જવા માટે પ્રતિબંધ કરવામાં આવે, એવી અમારી માગણી હોવાનું સુદર્શન વાહિનીના સંપાદક સુરેશ ચવ્હાણએ કહ્યું છે.