• સોમવાર, 19 મે, 2025

કેન્દ્રની “જોહુકમી” સામે જેહાદ?

પ્રદેશવાદનો નવો અવતાર

રાજ્યોને વધુ સ્વાયત્તતાની માગ

કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી - નરેન્દ્ર મોદી વિરોધી સંગઠનમાં નવો મોરચો ખુલ્યો છે. તામિલનાડુના મુખ્ય પ્રધાન - દ્રાવિડ મુનેત્ર કળગમ પક્ષના એમ. કે. સ્ટાલિને - રાહુલ ગાંધીએ ચૂંટણીમાં સંવિધાન બચાવોનો મુદ્દો ઉઠાવ્યો પણ સ્ટાલિને હવે સંવિધાનના મુદ્દાનું ‘સશત્રીકરણ’ કર્યું છે : પ્રાદેશિક પક્ષોની બહુમતી રાજ્ય સરકારોને ‘અન્યાય’ થાય છે તે દૂર કરવા - સંવિધાનમાં સુધારા સૂચવવા ત્રણ સભ્યોની સમિતિની નિમણૂક કરી છે. આ સમિતિની ભલામણોને કાયદાનું સ્વરૂપ આપી શકાય એમ નથી, પણ આગામી - વર્ષ 2026માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકેના હાથમાં મહત્ત્વનો મુદ્દો-શત્ર હશે. એટલું જ નહીં પણ અન્ય રાજ્યોના વિપક્ષી નેતાઓ પણ કેન્દ્ર સરકારની ‘જોહુકમી’ સામે ‘જેહાદ’ જગાવશે!

ઇન્ડિ મોરચામાં જોડાયા પછી ડીએમકેના નેતા સ્ટાલિનના પાટવી કુંવરે સનાતન ધર્મ ઉપર આકરા પ્રહાર કર્યા અને કૉંગ્રેસ સહિત મોરચાના અન્ય ભાગીદારોએ એમને સમર્થન આપ્યું. આ પછી રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલથી અમારા ઉપર હિન્દીભાષા થોપી દેવાનો; ઠોકી બેસાડવાનો આક્ષેપ કર્યો - જોકે હિન્દીભાષા સામે વિરોધ અને હિંસક હુલ્લડ કરનાર તામિલનાડુ પ્રથમ રાજ્ય હતું.

શિક્ષણનીતિ, હિન્દીભાષા, રાજ્યપાલની ભૂમિકા અને સત્તા તથા કરવેરાની આવકમાં રાજ્યોને મળતા ભાગ વિષે આ સમિતિ અભ્યાસ કરીને અહેવાલ આપશે. વચગાળાનો અહેવાલ આગામી જાન્યુ.માં અને આખરી અહેવાલ બે વર્ષ સુધીમાં આપશે. મુખ્ય પ્રધાન સ્ટાલિને આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીરૂપે આ સમિતિ નીમી છે. જૂના વિવાદાસ્પદ મુદ્દા અત્યારે ઉઠાવાયા છે તેના મુખ્ય કારણમાં ભાજપનો ભય છે! સ્ટાલિનને ભય છે કે ભાજપ તામિલનાડુમાં પગપેસારો કરે છે અને સનાતન ધર્મની સહાયથી પગદંડો જમાવે છે! ડીએમકેમાં ભંગાણ પડÎા પછી એમજી રામચન્દ્રન અને જયલલિતાએ વિધાનસભામાં બહુમતી મેળવી હતી. મૂળ કરુણાનિધિ અને એમનો પરિવાર સત્તાથી દૂર હતો. ડીએમકેના લોકપ્રિય નેતા - પ્રથમ મુખ્ય પ્રધાન અન્નાદુરાઈના નામે અૉલ ઇન્ડિયા અન્ના ડીએમકે પક્ષ શરૂ થયો તેના નેતા પલાનીસ્વામીએ ફરીથી ભાજપ સાથે જોડાણ કર્યું છે અને સ્ટાલિનને પડકાર આપી શકે એમ છે. પાણી પહેલાં પાળ બાંધવા સ્ટાલિન સમિતિનો ઉપયોગ કરવા માગે છે. એમજી રામચન્દ્રન અને જયલલિતા બંને નેતાઓ તામિલ હિત અને સમ્માન માટે લડÎાં હતાં, હવે એમના રાજકીય વારસદારો ભાજપ સાથે જોડાયા છે - આવો પ્રચાર કરવાની શરૂઆત થઈ છે.

સ્ટાલિનને તામિલનાડુની ચૂંટણીમાં ફાયદો થાય અને અન્ય રાજ્યોમાં કૉંગ્રેસનો ઇન્ડિ મોરચો પણ કેન્દ્રની ભાજપ સરકાર સામે ભેદભાવના આક્ષેપ અને પ્રચાર કરશે. સરવાળે કેન્દ્રની જોહુકમી અને રાજ્યોને અન્યાય - કહીને પ્રદેશવાદ ભડકાવવાનો પ્લાન હોવાનું સ્પષ્ટ છે. અલબત્ત, આ અલગતાવાદ - પંજાબના ખાલિસ્તાનવાદીઓ જેવો નથી, વધુ સ્વાયત્તતા, સત્તા મેળવવા માટે છે. મોદી એક રાષ્ટ્ર - એક ચૂંટણી કરવા માગે છે તેના મૂળમાં પ્રહાર કરવાનો પ્રયાસ છે.

વિધાનસભામાં આ સમિતિની નિમણૂક બાબત જાહેરાત કરતી વખતે સ્ટાલિને કહ્યુંઃ ‘બાળકને ક્યારે ભૂખ લાગી છે તેનું અને તેને શાંત કરવાની સમજ, ભાન, માત્ર તેની માતાને જ હોય છે. બાળકને શિક્ષણ કેવું આપવું અને કયા માર્ગે ચાલવું તે નક્કી કરવા માટે માતા અવાજ ઉઠાવે નહીં? બળવો કરે કે નહીં?’

આ ટીકા, ટકોરના મૂળમાં કેન્દ્ર સરકારના હાથમાં સત્તા કેન્દ્રિત થઈ હોવાનો આક્ષેપ છે. રાજ્યોની સ્વાયત્તતાનો પ્રશ્ન ઉઠાવનાર તામિલનાડુ પ્રથમ રાજ્ય છે અને હંમેશાં લડયું છે એમ સ્ટાલિન ભારપૂર્વક કહે છે. વર્ષ 1969માં હિન્દીભાષા વિરોધી આંદોલન વખતે અન્નાદુરાઈ અને કરુણાનિધિએ રાજમન્નાર સમિતિ/પંચ રાષ્ટ્રીય કક્ષાએ નીમી હતી અને એપ્રિલ, 1974માં વિધાનસભામાં ઠરાવ પસાર કરીને કેન્દ્રની કૉંગ્રેસી સરકારને અનુરોધ કર્યો હતો કે આ સમિતિની ભલામણો સ્વીકારો. એકાવન વર્ષ વીતી ગયાં પણ ભલામણો કાગળ ઉપર જ રહી! હવે આ માટે ફરીથી તામિલનાડુ આગેવાની માટે તૈયાર છે.

તામિલનાડુની ડીએમકે સરકારને શંકા, ભય છે કે આગામી વસતિ ગણતરી પછી સંસદમાં તામિલનાડુની બેઠકોની સંખ્યા ઘટશે. વસતિ નિયંત્રણમાં સફળતા મેળવી તેની આ સજા હશે! સ્ટાલિન વધુમાં કહે છે ઃ પ્રતિનિધિત્વ, નાણાં સાધનો અને સન્માનનો સવાલ છે. (ત્રણ છ) રિપ્રેઝેન્ટેશન, રિઝોર્સીઝ અને રિસ્પેક્ટ! આ ઉપરાંત - તામિલનાડુનો અવાજ કોણ ઉઠાવે છે, સંસદમાં કોણ ગજાવે છે - તે મહત્ત્વનો પ્રશ્ન છે!

ભાજપે અન્ના ડીએમકે સાથે સમજૂતી કરી હોવાથી રાજ્યની સ્વાયત્તતા અને અસ્મિતા તામિલ સત્તાનો સવાલ છે. આ વિવાદ અને વાતાવરણમાં તામિલનાડુના રાજ્યપાલે વધારો કર્યો! વિધાનસભામાં પસાર થયેલા ખરડાઓ જે મંજૂરી આપી નહીં, રોકી રાખી અને આખરે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ સાથે રાષ્ટ્રપતિને પણ ‘સૂચના’ આપી કે ઠરાવને મંજૂરી માટે રોકી શકાય નહીં!

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી સંવિધાનમાં કરવામાં આવી હોવા છતાં સત્તાનો ગજગ્રાહ જૂનો - દાયકાઓથી ચાલે છે - 1959માં કેરળની પ્રથમ સામ્યવાદી સરકાર નેહરુએ બરતરફ કરી - (આવી ભલામણ ઇન્દિરા ગાંધીએ કરી હતી) આ પછી સંવિધાનની 356મી કલમનો ઉપયોગ રાજ્યોમાં વિપક્ષી સરકારોને બરતરફ કરવા માટે થઈ રહ્યો છે. 1970 અને 1980ના દાયકામાં આવી બરતરફીએ માઝા મૂકી હતી! અને સત્તાની વહેંચણી માટે મોરારજીભાઈની જનતા સરકારે સરકારિયા કમિશનની નિમણૂક કરી હતી. હજુ આ ગજગ્રાહ જારી છે. એનડીએ - યુપીએના મોરચા બદલાતા રહ્યા છે અને પ્રાદેશિક પક્ષો પણ આયારામ - ગયારામ જેવા છે!

હવે જૂનો વિવાદ ફરીથી જાગ્યો - જગાવાયો છે ત્યારે આ વિવાદ ઉત્તર-દક્ષિણના મહાભારત બને નહીં અને યુનાઇટેડ સ્ટેટ્સ અૉફ ઇન્ડિયા બની રહેશે એમ ઇચ્છીએ.

---------

તામિલનાડુ સરકારે નિમેલી ત્રણ સભ્યોની સમિતિના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ કુરિયન જોસેફ છે. સાયરાબાનો કેસમાં સુપ્રીમ કોર્ટની બેંચે ત્રણ તલાકને ગેર સંવિધાનિક હોવાનો ચુકાદો આપ્યો તે બેંચમાં સામેલ હતા. 2018માં અયોધ્યા કેસના વિવાદ દરમિયાન ત્રણ-ડાબેરી ગણાતા - ન્યાયાધીશોએ પત્રકાર પરિષદ ભરીને મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા વિરોધી નિવેદન કર્યાં હતાં. ન્યાયતંત્રના ઇતિહાસમાં આવી પત્રકાર પરિષદ પ્રથમ હતી!