મદુરાઈ સ્ટેશન પાસે દુર્ઘટના
મદુરાઈ, તા. 26 : તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના એક ખાનગી કોચમાં ભીષણ આગ લાગતાં 10 તીર્થયાત્રીના મૃત્યુ થયા અને 50 જેટલા અન્યો દાઝી ગયા છે. યાત્રી ડબ્બામાં ગેસનો બાટલો ગેરકાયદે લઈ જવામાં આવી રહ્યા બાદ દુર્ઘટના ઘટયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ટ્રેન લખનઉથી રામેશ્વરમ જઈ રહી હતી. હતભાગીઓના પરિવારજનો માટે રૂ.10-10 લાખનું વળતર જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ રેલવેના અધિકારીઓ અનુસાર, શનિવારે વહેલી સવારે 5:15 કલાકે બનેલી દુર્ઘટનામાં ટ્રેનના ખાનગી કોચમાં યુપીના કુલ 63 તીર્થયાત્રી સફર કરી રહ્યા હતા. દુર્ઘટના વખતે કોચ યાર્ડમાં ઉભો હતો. આ કોચ 17 ઓગસ્ટે લખનઉ જંક્શન રવાના થયો હતો અને રવિવારે ચેન્નાઈથી લખનઉ પરત ફરવાનું હતું. મદુરાઈના કલેક્ટર એમએસ સંગીતાએ જણાવ્યું કે કોચમાં તમામ યુપીના તીર્થ યાત્રીઓ હતા.