33 ટકા મુખ્ય પ્રધાનો ઉપર ગંભીર આક્ષેપો છે. દેશભરનાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 30 મુખ્ય પ્રધાનોમાંથી 12 મુખ્ય પ્રધાનોએ ઉમેદવારી પત્રકોમાં કબૂલાત કરી છે
હાર વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ ભાજપ ઉપર વોટ ચોરીના આક્ષેપ કર્યા અને ચૂંટણી પંચ સરકારના હાથા તરીકે કામ કરે છે એવો ગંભીર આક્ષેપ કર્યો. હવે બંગાળમાં મમતા બેનરજી આગળ વધીને બેફામ આક્ષેપ કરી રહ્યાં છે! આ સાથે જ લોકશાહી ઉપર નાણાશાહી હાવી થઈ હોવાના આક્ષેપ પણ થાય છે અને છડેચોક ચૂંટણી બજારમાં નાણાંની લહાણી થાય છે અથવા વચનો અપાય છે. આનાથી ગંભીર બાબત છે - રાજકારણના અપરાધીકરણની. નેતાઓ રીઢા ગુનેગારો હોવાની માહિતી જાહેરમાં આવ્યા કરે છે. લોકતંત્રમાં સત્તાનું ‘હરણ’ કરનારા દુઃશાસનો ઓછા નથી! તાજેતરમાં - બે મહિના પહેલાં જ મુંબઈ હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે કે રાજ્યના સંસદસભ્યો તથા વિધાનસભ્યો - જેમની સામે અદાલતોમાં કેસ દાખલ થયા હોય કે ચાલી રહ્યા હોય તે સૌની વિગતો અદાલત સમક્ષ પેશ કરો. સુપ્રીમ કોર્ટની સૂચના છે કે આવા કેસો જલદી હાથ ઉપર લેવાય અને નિકાલ થવો જોઈએ. આ માટે સંસદસભ્યો અને વિધાનસભ્યોના કેસોની વિગતવાર માહિતી - અસીલ અને વકીલ સહિત આપવાની છે. ગત સપ્ટેમ્બરની 15મી તારીખે રાજ્ય સરકારના વકીલે હાઈ કોર્ટને ખાતરી આપી હતી કે ચાર સપ્તાહમાં આ માહિતી પેશ કરાશે. દરેક કેસમાં - કેટલા સાક્ષી નોંધાયા છે - તેમાંથી કેટલાની તપાસ થઈ ગઈ છે, અત્યારે કેસની સ્થિતિ અને સમન્સ અપાયા પછી આરોપીઓ ક્યારે હાજર થાય છે તે અથવા સમન્સ કેમ નથી અપાયા તે તમામ વિગત હાઈ કોર્ટે માગી છે. (ચાર હપ્તાની અંદર આ વિગતવાર અહેવાલ સુપ્રત થયો કે નહીં તેની માહિતી પ્રાપ્ત નથી)
દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રાજકારણના અપરાધીકરણ સામે સખત પગલાં લેવા માટે કાનૂનમાં ત્રણ મહત્ત્વના સુધારા કરવાના ખરડા સંસદમાં રજૂ કર્યા છે જે અનુસાર વડા પ્રધાન, મુખ્ય પ્રધાનો તથા રાજ્યોના પ્રધાનો ઉપર ફોજદારી કેસ થયા હોય અને જો તેઓ 30 દિવસથી વધુ જેલમાં હોય અને ગુના બદલ પાંચ વર્ષથી વધુ મુદતની સજાનો પ્રબંધ હોય તો એમનાં સભ્યપદ રદ થાય એવી જોગવાઈ છે. આ ખરડા ઉપર સંસદમાં વિપક્ષનો સહકાર મળે તે માટે સંયુક્ત સંસદીય સમિતિ બનાવવાની દરખાસ્ત છે જેમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ હશે. આ કાનૂની સુધારા સંવિધાનની જોગવાઈ માટે પણ હોવાથી વિપક્ષનો સહકાર જરૂરી છે.
રાજકારણને અપરાધીઓથી ‘મુક્ત’ કરવાના આ પ્રયાસમાં સહકાર આપવા વિપક્ષ તૈયાર નથી. કૉંગ્રેસ અને ‘આપ’ સાથે મોરચાના અન્ય પક્ષો - સમાજવાદી પાર્ટી, ઠાકરે સેના અને મમતા બેનરજીના તૃણમૂલ પક્ષે બહિષ્કાર જાહેર કર્યો છે! હવે સંસદના શીતકાલીન - શિયાળુ સત્રમાં આ મુદ્દો આવશે અને વડા પ્રધાન મોદી ‘વોટ ચોરી’ના હાઇડ્રોજન બૉમ્બનો જવાબ આપે એવી પૂરી શક્યતા છે.
કૉંગ્રેસ અને તેના સાથી પક્ષોનો વિરોધ અને બહિષ્કાર સમજી શકાય છે. ઍસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફૉર્મ્સ - લોકતાંત્રિક સુધારા અને ચૂંટણી ઉપર નજર રાખતી બિનસરકારી સંસ્થાના અહેવાલ અનુસાર ગંભીર આરોપ નોંધાયા હોવાની કબૂલાત કરનારા નેતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2009માં લોકસભાના આવા સભ્યોની ટકાવારી 14 હતી તે વધીને 2024માં 31 થઈ છે. વિધાનસભાઓમાં 29 ટકા છે - 1200 માનદ્ સભ્યોનાં નામ ગંભીર ગુનેગારોની યાદીમાં છે.
ગંભીર આરોપ જેમાં પાંચ વર્ષથી વધુ મુદતની સજા હોય અને બિનજામીનપાત્ર હોય તેમાં હત્યા, અપહરણ, લાંચ-ભ્રષ્ટાચારનો સમાવેશ થાય છે.
આ અહેવાલ મુજબ 33 ટકા મુખ્ય પ્રધાનો ઉપર ગંભીર આક્ષેપો છે. દેશભરનાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 30 મુખ્ય પ્રધાનોમાંથી 12 મુખ્ય પ્રધાનોએ ઉમેદવારી પત્રકોમાં કબૂલાત કરી છે. સોગંદનામા સાથે અપાયેલી માહિતી મુજબ 33 ટકા - અર્થાત્ 10 મુખ્ય પ્રધાનોએ ફોજદારી આરોપોના કેસ કબૂલ કર્યા છે. આમાં તેલંગણાના મુખ્ય પ્રધાન રેવંથ રેડ્ડી ઉપર સૌથી વધુ 89 કેસ છે. તામિલનાડુના એમકે સ્ટાલીન ઉપર 47 અને આંધ્રના ચન્દ્રાબાબુ નાયડુ ઉપર 19 કેસ છે. કર્ણાટકના સિદ્ધારામૈયા-13, ઝારખંડના હેમંત સોરેન - પાંચ કેસ, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ અને હિમાચલ પ્રદેશના સુખવીંદરસિંહ ઉપર ચાર-ચાર કેસ છે.
લોકસભામાં તેલંગણાના સભ્યોમાં 71 ટકા અને બિહારના 48 ટકા, ઉત્તર પ્રદેશના 34 સભ્યો આ યાદીમાં છે! ભારતીય જનતા પાર્ટીમાં સૌથી વધુ - 73 સભ્યો છે ત્યારે કૉંગ્રેસના- 32 છે, રાષ્ટ્રીય જનતા દળના તમામ ચાર સભ્યો છે.
આમ મુખ્ય પ્રધાનો, પ્રધાનો તથા માનનીય સભ્યો ઉપર ગંભીર આરોપો છે ત્યારે તેઓ મોદી સરકારના ખરડાઓને ટેકો શા માટે, કેવી રીતે આપે? 30માંથી જે 12 મુખ્ય પ્રધાનોનાં નામ છે તે બધા વિપક્ષના છે અને આક્ષેપ નથી, એમણે કબૂલેલા ગંભીર ગુના છે. એમની સામે કેસ ક્યારે પૂરા થાય? લાલુ યાદવને ખુરસી છોડવી પડી તો રાબડી દેવીને બેસાડÎાં!
કૉંગ્રેસ સાથે અન્ય વિપક્ષોને પણ ડર છે કે કાનૂન થઈ જાય તો તેઓ રાજકીય નિરાશ્રિત બને અને જેલમાં આશ્રય મળે. પ્રશ્ન એ છે કે આ અપરાધીકરણ કેવી રીતે, ક્યાં સુધી ચલાવી લેવાય? બિહારને જંગલરાજથી મુક્તિ મળી તો અન્ય રાજ્યો ક્યાં સુધી?
મોદી સરકારે રાજકારણને ‘શુદ્ધ’ કરવા માટે, અપરાધી-મુક્ત કરવા માટે ત્રણ ખરડા પેશ કર્યા અને તેના ઉપર વિષદ ચર્ચા-િવચારણા કરવા માટે જેપીસીને સોંપવાની જાહેરાત કરી પણ વિપક્ષો તેમાં જોડાવા માગતા નથી! વિશેષ કરીને કૉંગ્રેસ, સમાજવાદી પક્ષ, ‘આપ’, તૃણમૂલ કૉંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, ડીએમકેના નેતાઓએ જેપીસીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. એમનો આક્ષેપ છે કે મોદી સરકાર રાજકારણને અપરાધ-મુક્ત કરવાને બદલે વિપક્ષ-મુક્ત કરવા માગે છે! વિપક્ષી સરકારોના નેતાઓને જેલ ભેગા કરીને મેદાન સાફ કરવા માગે છે! વાસ્તવમાં વિપક્ષી નેતાઓના આક્ષેપ પાછળ એમનો ડર છે! એમને ખાતરી છે કે અપરાધીકરણ સામે કાયદાનો અમલ શરૂ થાય તો અને ત્યારે તેઓ બધા જેલમાં હશે! જે નેતાઓ વિરોધ કરી રહ્યા છે તેમના ઉપર કેસ દાખલ થયા હશે અથવા થવાના હશે તેથી એમને ડર છે. જે નેતાઓ અપરાધમાં સંડોવાયા નહોય એમને ડરવાની જરૂર નથી તો પણ ભ્રષ્ટ - અપરાધી નેતાઓ એમને ડરાવી રહ્યા છે!
દિલ્હીમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જેલમાં રહીને સરકાર ચલાવી - સરકારી ફાઇલો મગાવી આખરે કોર્ટની ‘બ્રેક’ લાગી. બંગાળમાં ધનના ઢગલાઓ ઉપર બેઠેલા નેતાઓ પકડાયા છે. બિહારમાં ગાયના ઘાસચારાથી લઈને ભૂમિ-જમીન સાથે નોકરી આપવાના કૌભાંડના કેસ ચાલી રહ્યા છે. જામીન ઉપર છૂટયા પછી લાલુ યાદવ ફરીથી જેલ ભેગા થનાર છે ઃ આવા નેતાઓની નામાવલિ લાંબી છે! મતદારોની યાદીની ચકાસણીનો વિરોધ થયો. મોબાઇલ ફોનમાં સંચાર સાથી પાછળ વિરોધીઓને કાવતરું દેખાયું. આમ રાજકારણની સફાઈ પાછળ વિરોધીઓને કાવતરાંની ભૂતાવળ જ દેખાય છે!