• શુક્રવાર, 03 મે, 2024

ઝારખંડ સામે ચેતેશ્વર પૂજારાની સદી  

બીજા દિવસના અંતે સૌરાષ્ટ્રના ચાર વિકેટે 406 રન

રાજકોટ, તા. 6 : રણજી ટ્રોફીના એલિગ ગ્રુપ લીગ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે બીજા દિવસે પણ ઝારખંડ ઉપર મજબુત પકડ યથાવત રાખી હતી. સૌરાષ્ટ્રની ટીમે 108 રનથી ઈનિંગ આગળ વધારી હતી. જેમાં ચેતેશ્વર પૂજારાના 157 રન અને હાર્વિક દેસાઈના 85 રનની મદદથી બીજા દિવસના અંત સુધીમાં  ચાર વિકેટના નુકશાને 406 રન કરી લીધા છે. 

સૌરાષ્ટ્રે બીજા દિવસે એક વિકેટના નુકશાને 108 રનથી પોતાનો સ્કોર આગળ વધાર્યો હતો. જેમાં ચેતેશ્વર પૂજારાએ 239 બોલમાં 19 ચોગ્ગાની મદદથી 157 રન કર્યા હતા. ચેતેશ્વર પૂજારાની 258 મેચમાં 51મી ફર્સ્ટ ક્લાસ સદી હતી. બીજી તરફ હાર્વિક દેસાઈએ 119 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 85 રન કર્યા હતા. જ્યારે અર્પિત વસાવડાએ 68 રનનું યોગદાન આપ્યું હતું. શેલ્ડન જેક્સને 54 રન કર્યા હતા. દિવસના અંતે ચેતેશ્વર પૂજારા 157 રન અને પ્રેરક માંકડ 23 રને નોટઆઉટ રહ્યા હતા. ઝારખંડ તરફથી આશિષ કુમાર, વિકાસ સિંહ, રાહુલ શુક્લા અને અનુકુલ રોયે એક-એક વિકેટ લીધી હતી.