મહુવા, તા. 3 : ઓરિસ્સાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે અત્યંત ભીષણ કહી શકાય એવો રેલવે અકસ્માત થયો. આ ઘટનામાં 233થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. પૂજ્ય મોરારિબાપુ રામકથા માટે કોલકાતા ગયા છે. એમને આ સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અત્યંત કરુણ ઘટના અંગે પૂજ્ય મોરારિબાપુએ સંવેદના વ્યક્ત કરી છે અને આ ઘટનામાં પોતાના પ્રાણ ગુમાવ્યા છે તે અને અન્ય ઘાયલ થયેલા લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા 50 લાખની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. રામકથાના દેશ અને વિદેશના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે.
પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને ઘાયલ લોકો ઝડપથી પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી છે. મૃતકો અને ઘાયલોના પરિવારજનોને એમણે દિલસોજી પાઠવી છે.