ખાણ કૌભાંડ સહિતના કેસોમાં ભ્રષ્ટાચારના પુરાવા તરફ ઇશારો
ઝારખંડ, તા.7: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને તેમની સરકાર પર મોટા પાયે ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ મૂકતા શનિવારે કહ્યું કે, હેમંત સોરેને ઝારખંડની આખી સરકાર લુટારાઓ અને દલાલોના હાથમા સોંપી દીધી છે. શાહના બે દિવસના ઝારખંડ પ્રવાસના બીજા દિવસે ચાઇબાસામાં ટાટા કોલેજમાં એક જાહેર સભાને સંબોધતા શાહે આક્ષેપ કર્યો હતો કે, અત્યારે ઝારખંડમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. હેમંત સોરેને રાજ્યની આખી સરકારને લુટારાઓ અને દલાલોના હાથમાં સોંપી દીધી છે.
ઝારખંડમાં ખાણ કૌભાંડ સહિત વિવિધ કેસોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની તપાસમાં મુખ્યમંત્રી સાથે સંકળાયેલા લોકો સામે મળેલા ભ્રષ્ટાચારના પુરાવા તરફ ઇશારો કરતા અમિત શાહે કહ્યું કે, `હેમંતભાઈ તમારી સરકારે શું કામ કર્યું છે ? ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી. વાસ્તવમાં હેમંત સોરેનનાં નેતૃત્વમાં એક સરકાર આવી, જેણે ઝારખંડને બરબાદ કરી નાખ્યું છે.'
ગૃહ પ્રધાને કેન્દ્ર સરકારને આદિવાસીઓના હિતેચ્છક ગણાવી હતી તેમણે કહ્યું કે મોદી સરકારે આદિવાસીઓના કલ્યાણ માટેના બજેટની રકમ કોંગ્રેસ સરકારોના સમયમાં 21 હજાર કરોડ હતી. જે નવા બજેટ વધારીને રૂ.86 હજાર કરોડ કરવામાં આવે છે.