40 હજાર લોકોને રોજગારીની તક
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : બજાજ ફિનસર્વ દ્વારા પૂણેમાં રૂા. 5,000 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે, જેના કારણે 40,000 લોકોને રોજગારી મળશે. આ માટે મહારાષ્ટ્ર સરકાર અને બજાજ ફિનસર્વ વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આજે મુંબઈમાં મહારાષ્ટ્ર સરકાર અને બજાજ ફિનસર્વ વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
મુંબઈમાં એમઓયુ વિશે માહિતી આપતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે બજાજ ફિનસર્વ સાથે કરાર કર્યા છે અને એમઓયુ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત નોન-બૅન્કિંગ ફાઈનાન્સ કંપની પૂણેમાં રૂા. 5,000 કરોડનું રોકાણ કરશે, જેના દ્વારા 40,000 નોકરીઓનું સર્જન થવાની આશા છે. તેનાથી અનેક લોકોને રોજગારી મળશે.
આ સિવાય ફડણવીસે કહ્યું કે પૂણે ધીમે ધીમે નાણાકીય સેવાઓનું કેન્દ્ર બની રહ્યું છે અને બજાજ ફિનસર્વ સંબંધિત નવા વિકાસથી ફિનટેક સેક્ટરને મોટું પ્રોત્સાહન મળશે. તાજેતરના સમયમાં ફિનટેક સેક્ટરમાં બજાજ ફિનસર્વનું આ સૌથી મોટું રોકાણ છે.