અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુરના ચાર મંદિરમાં શનિવારથી ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યા છે. હવે નાગપુરમાં પચીસ અને રાજ્યભરના 300 મંદિરોમાં નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે, એવી જાહેરાત મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ દ્વારા કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અનુસાર હવે મહિલાઓ અને પુરુષો હવે શોર્ટ્સ પહેરીને મંદિરમાં પ્રવેશી શકશે નહીં. એનસીપી દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા તુળજા ભવાની મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ વિરોધ બાદ આ નિર્ણયને પાછો ખેંચવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર મંદિર મહાસંઘે નિર્ણય લીધો કે પહેલા નાગપુરના પચીસ અને રાજ્યભરના 300 મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરવાના પ્રયત્નો કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યના તમામ મંદિરોમાં આ નિર્ણય અમલમાં મૂકવામાં આવશે. હાલમાં નાગપુરના ધનતોલીમાં આવેલું ગોપાલ કૃષ્ણ મંદિર, બેલોરીનું સંકટમોચન પંચમુખ હનુમાન મંદિર, કૉન્હોલીવાડાનું બૃહસ્પતિ મંદિર અને હિલટૉપના દુર્ગામાતા મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ મંદિરના પ્રવેશદ્વાર પર ભાવિકોને સૂચના આપવામાં આવી છે કે મહિલાઓ અને પુરુષો અશોભનીય વત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ ન કરે. શોર્ટ્સ પહેરીને આવનારા લોકો મંદિરની બહારથી જ દર્શન કરીને સહયોગ કરે.
આ અંગે મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, મંદિરની પવિત્રતાને જાળવી રાખવા માટે વત્રસંહિતા લાગુ કરવી આવશ્યક છે. મંદિર પરિસરમાં અશોભનીય વત્રો નહીં ચાલે. આ માટે નિયમાવલી જાહેર કરવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં એક મહિનામાં 300 જેટલા મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારના તમામ કાર્યાલયોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યા છે તો મંદિરોમાં શા માટે નહીં?