અમારા પ્રતિનિધિ તરફથી
પુણે, તા. 7 : બારમા ધોરણ (એચએસસી)નું પરિણામ પાંચમીથી દસમી જૂન સુધી અને દસમા ધોરણ (એસએસસી)નું પરિણામ 15મીથી વીસમી જૂન સુધી જાહેર કરવામાં આવવાની શક્યતા છે. ઉત્તરપત્રિકા સ્કેન કરવાનું તથા ડિવિઝન પ્રમાણે રિપોર્ટ તૈયાર કરવાનું કામ પૂરું થવા આવ્યું છે, એમ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શરદ ગોસાવીએ જણાવ્યું હતું.
`પેપર તપાસવાનું કામ પૂર્ણ થયા બાદ માર્કની ગણતરી અને ઉત્તરપત્રિકાઓ સ્કેન કરવામાં આવશે ત્યાર બાદ બારકોડ તપાસવામાં અને સ્કેન કરવામાં આવશે. દરેક ડિવિઝન પોતાનો રિપોર્ટ તૈયાર કરે છે અને ત્યાર બાદ ભૂલો સુધારવામાં સમય જતો હોય છે. ત્યાર બાદ વિભાગીય ઉપરીને રિઝલ્ટ અંગેનો પ્રસ્તાવ મોકલવામાં આવતો હોય છે. ત્યાર બાદ સંબંધિત વિભાગો પોતાની રીતે તારીખ જાહેર કરશે', એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. કોરોના કાળ બાદ અંદાજે બે વર્ષ બાદ ચાલુ વર્ષે બારમા અને દસમા ધોરણની પ્રત્યક્ષ પરીક્ષાઓ લેવામાં આવી હતી. તેમ છતાં વિદ્યાર્થીઓને પૂરતો સમય મળી રહે તે માટે બે અઠવાડિયાં પરીક્ષાઓ પાછળ ઠેલવવામાં આવી હતી.