પ્રવાસી ભારતીય સંમેલનમાં વડા પ્રધાને કહ્યું, વિશ્વની સૌથી મોટી રસીકરણ ઝુંબેશ પર દુનિયાની નજર
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 9 : િવશ્વનો દવા ઉદ્યોગ તરીકેની ભારતની છાપનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, માનવતાની રક્ષા માટે બે સ્વદેશી ઉત્પાદનવાળી કોવિડ-19 રસી સાથે સજ્જ છીએ અને સાથે એવો નિર્દેશ પણ આપ્યો હતો કે, દુનિયા માત્ર તેની રાહ જ નથી જોઈ રહી બલ્કે એ નજર રાખી રહી છે કે, ભારત વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમને કેવી રીતે અમલી કરે છે.
16મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં મોદીએ કહ્યું કે, વિશ્વમાં ક્યાંય પણ જો લોકશાહી સૌથી વધુ મજબૂત, સશક્ત અને જીવંત હોય તો તે ભારત છે. તેમણે આ પ્રસંગે પ્રવાસી ભારતીયોને વધુમાં વધુ ભારતમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. જેથી તેમની આસપાસના લોકોમાં પણ આવી ચીજોના ઉપયોગનો વિશ્વાસ વધે.
મોદીએ અત્યાર સુધી મેડિકલ સાધનોની આયાત કરતા દેશમાંથી હવે કોરોના વાયરસ સામે લડવા માટે બે ભારતમાં બનેલી રસી સાથે માનવતા બચાવવા સજ્જ દેશ તરફના પરિવર્તનનો પણ પડઘો પાડયો હતો. આ સિવાય તેમણે એવા ક્ષેત્રોની પણ વાત કરી હતી, જેમાં દેશે પ્રગતિ કરી છે.
મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતા કહ્યું કે, ભારત પીપીઈ કિટ, માસ્ક, વેન્ટિલેટર અને ટેસ્ટિંગ કિટની બહારના દેશોમાંથી આયાત કરતું હતું, પરંતુ આજે તે આત્મનિર્ભર છે. હવે બે રસીથી માનવતા બચાવવા સજ્જ છે.
માનવતાને બચાવવા ભારત સજ્જ : મોદી
